ઓગસ્ટ-સપ્ટેમ્બરની ચોમાસુ ઋતુ છે..
ચંદ્ર દેખાતો નથી, વાતાવરણ ધુમ્મસભર્યું છે..
ઝરમર વરસાદ, અને દક્ષિણ પશ્ચિમનો વાયરો..
એક પછી એક પંખીઓ આવે છે..અને..
પત્થરની જેમ તૂટી પડે છે..
જાતીંગા નું રહસ્ય વધુ ઘેરાય છે..
જી હા, વાત છે આપણા જ ભારત દેશની. આસામ રાજ્યના ઉત્તર કાચાર જીલ્લામાં, ગૌહાટીથી આશરે ૩૦૦ કિમી દૂર આવેલા જાતીંગા ગામની. ભરપુર કુદરતી સૌન્દર્ય ધરાવતી કાચાર ખીણમાં વસેલું આ ગામ આશરે ૨૫૦૦ લોકોની વસ્તી ધરાવે છે. આસપાસનો આખો પ્રદેશ ગાઢ જંગલો, પર્વતો અને નદી નાળાઓથી ભરેલો છે. ઓગસ્ટથી નવેમ્બર સુધીના ચોમાસાની ઋતુમાં તો આ સમગ્ર પ્રદેશ ધુમ્મસથી ઢંકાયેલો જ રહે છે. આ ધુમ્મસભરી ઋતુ માં જ “જાતીંગા બર્ડ મીસ્ટરી” અથવા “પક્ષીઓની આત્મહત્યા” તરીકે ઓળખાતી ગોઝારી ઘટના બને છે.
બને છે એવું કે અમુક ચોક્કસ સંજોગો સર્જાય, જેમ કે, અમાસની રાત હોય, વાતાવરણ ધુમ્મસથી ભરેલું હોય, પવન દક્ષિણ-પશ્ચિમ નો હોય, ધીમો ધીમો વરસાદ હોય, અને સમય મોટાભાગે સાંજે ૭ થી ૧૦ વાગ્યાનો હોય ત્યારે અનેક પક્ષીઓ અહી સળગતી લાઈટો તરફ વણબોલાવ્યા આવી ચડે છે ને જાણે આત્મહત્યા કરતા હોય તેમ મોતને ભેટે છે. અચાનક આવી ચડેલું દરેક પક્ષી જાણે પોતાનો રસ્તો ભૂલી ગયું હોય અને મુંજાયેલું હોય તેમ જમીન પર તરફડે છે. જાણે ઉડવાનું ભૂલી ગયું હોય તેમ ધલવલે છે અને અંતે કરૂણ મોતને ભેટે છે. કુદરતની આ ક્રુરતા ઓછી હોય, તેમ જાતિંગાના સ્થાનિક રહેવાસીઓ પણ આ ઘટનાને પક્ષી શિકારની એક તક ગણીને તૈયાર જ હોય છે. નીચે ઉડતા પક્ષીઓને વાંસના ફટકા મારીને તેમજ ગિલ્લોલ વડે પત્થર મારીને નીચે પાડી લેવામાં આવે છે. જોકે આવી કશી જરૂર હોતી નથી. પક્ષીઓ પોતે જ જાણે આત્મહત્યા કરવા માગતા હોય તેમ ઉડવાનો બિલકુલ પ્રયાસ કરતા જ નથી. આ ઘટનાનું રહસ્ય હજી સુધી સ્પષ્ટપણે સમજાવી શકાયું નથી. જો કે કેટલાંક પક્ષીશાસ્ત્રીઓ માને છે કે, પ્રવાસ ખેડતી વખતે ધુમ્મસ અને વરસાદથી મૂંજાયેલા પક્ષીઓ અહીં પ્રકાશ જોઈને માર્ગ શોધતાં આવી ચડે છે અને મોતને ભેટે છે. પરંતુ આ સમજુતિ પૂરતી નથી. એક વાત તો એ કે અહીં “આત્મહત્યા” કરતા કુલ ૪૪ જાતના પંખીઓ ઋતુપ્રવાસી નથી, સ્થાનિક જ છે. તો પછી આવી ધુમ્મસભરી રાતે તે બધા એકસાથે શા માટે પોતપોતાના સલામત સ્થાન છોડીને મરવા નીકળી પડે? વળી, પક્ષીઓ જગતમાં બીજે ક્યાંય નહિને માત્ર જાતિંગામાં જ શામાટે મૂંજાઈને અને પ્રકાશ તરફ આકર્ષાઈને મોતને ભેટે? જગતમાં બીજે પણ આવા ધુમ્મસભર્યા સંજોગો તો હોય જ છે. વળી, પક્ષીઓના માર્ગ ભૂલવાને અને દક્ષિણ-પશ્ચિમના પવનને શું લાગે વળગે? પાછો આ “આત્મહત્યા”નો બનાવ સમગ્ર વિસ્તારના માત્ર 1.5 કિમી લાંબા અને 200 મી પહોળા પટ્ટામાં જ બને છે. પક્ષીઓના આગમનની દિશા હંમેશા ઉત્તર જ હોય છે એ એક વધુ રહસ્ય છે.
જો કે પક્ષીશાસ્ત્રીઓ માને છે કે આ ઘટનાને અને તે સમયના વાતાવરણને ઘેરો સંબંધ છે. ચોમાસાની ઋતુમાં વાતાવરણના ફેરફારો ભૂતળના ચૂંબકીય ક્ષેત્ર (magnetic field)માં ફેરફાર કરી નાખતા હોય અને એ ચૂંબકીય ક્ષેત્રના આધારે દિશા શોધતા પક્ષીઓ દિશા ભૂલી જતા હોય તેવું બની શકે. ગમે તેમ, પણ આ ઘટનાનો આખરી અને સ્વિકાર્ય એવો ખુલાસો મળવાનો હજી બાકી જ છે.
(દેશની સરકાર અને કુદરતપ્રેમી સંસ્થાઓ દ્વારા જાતિંગાના લોકોમાં આ ક્રુર શિકારની વિરુદ્ધમાં જાગૃતિ લાવવાના પ્રયત્નો સતત કરવામાં આવે છે અને તેના ફળસ્વરૂપે મૃત્યુ પામતા પક્ષીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો લાવી શકાયો છે.)