આ આશ્ચર્યજનક વાત હું નથી કહેતો. “મીડ-ડે”નો આ અહેવાલ કહે છે.
કેલીફોર્નીયાની એક મોબાઈલ કંપનીના ડેટા પર યુનિવર્સીટી ઓફ શિકાગો અને લંડન સ્કુલ ઓફ ઈકોનોમિક્સે અભ્યાસ કર્યા પછી આ તારણ કાઢ્યું છે. તેમણે વાતચીત દરમ્યાન બદલાતા રહેતા ટાવર ઉપરથી વાહનની ગતિશીલતાનો અંદાજ લગાવ્યો અને એ જ સમયે એ વિસ્તારમાં થતા અકસ્માતોની સંખ્યા અંગે તપાસ કરી. પણ અકસ્માતો અને હરતા-ફરતા ફોનના વધારા વચ્ચે કંઈ ખાસ સંબંધ જણાયો નહિ.
સંશોધકોએ મોબાઈલ ફોનના ઉપયોગ છતાં અકસ્માતો ન વધવાના કારણો અંદાજ્યા છે તે મુજબ..
- લોકો મોબાઈલ પર વાત કરતા અન્ય રાહદારીઓ અંગે વધુ સાવધાન રહે છે.
- જે લોકો બેદરકાર છે તેઓ પોતે ધ્યાન નથી આપતા પણ તેમના હાથમાં મોબાઈલ જોઈને અન્ય લોકો સાવધ થઈ જાય છે. (આવું મે પણ જોયું છે. જ્યારે કોઈક ભાયડો હંસ જેવી વાંકી ડોકમાં મોબાઈલ પકડીને હાલ્યો આવતો હોય ત્યારે હું રસ્તો આપી જ દઉં છું.)
- લોકો મોબાઈલ વાપરવાની બેદરકારી રાખે છે પણ સાથે સાથે ડ્રાઈવીંગમાં વધુ સાવધાન રહીને તે બેદરકારીની ખોટ પૂરી દે છે.