Tag Archives: નેતાઓ

ક્રિકેટરો અને નેતાઓ – દેશ બડા ના ખેલ, પૈસોં સે હૈ મેલ


આમ તો હું રોજ મારા બ્લોગ પર એક કે બે જ પોસ્ટ મૂકું છું. પણ આજે છાપું જોયું અને એવા એવા સમાચારો જોયા કે રહેવાયું નહિ.

  1. ક્રિકેટરોના કોન્ટ્રાક્ટની રકમ વધારાઈને એક કરોડ કરાઈ.
  2. કર્ણાટકના મુખ્યપ્રધાન યેદીયુરપ્પાના વિરોધીઓએ શત્રુનાશની વિધી કરાવી ગધેડાનો બલિ ચડાવ્યો. (ને મુખ્યમંત્રીએ પોતાના રક્ષણ માટે વિધિ કરાવી.)
  3. સીપીએમના 44 કાર્યકરોને તૃણમુળ કોંગ્રેસના 11 કાર્યકરોની હત્યા માટે કસૂરવાર ગણીને કોર્ટે આજીવન કેદની સજા કરી.

આપણા દેશમાં ક્રિકેટ ધર્મની જેમ જ પૂજાય છે, અને એમાં કશું ખોટું ન ગણાત-જો ખરેખરયોગ્ય હોત તો. પરંતુ પ્રશ્ન એ થાય છે કે ક્રિકેટરો આટલા માન પામવા અને પૂજ્ય ગણાવા યોગ્ય છે ખરા? ગ્રેડ “એ” નાં ક્રિકેટરોને તેઓ એકપણ મેચ રમે કે ન રમે, વર્ષે એક કરોડ રૂપિયા આપવામાં આવશે. ગ્રેડ “બી”ને ૬૦ લાખ તથા “સી”ને ૨૫ લાખ અપાશે. અને બદલામાં તેઓ મહેનત કેટલી કરશે? રામ જાણે. આપણા આ “પૂજ્ય” ક્રિકેટરો ક્યારેય એ વિચારતા હશે ખરા કે આટલી કમાણી અને નામના નાં બદલામાં તેઓની પોતાની ફરજ શી છે? મોટાભાગના ક્રિકેટરો પોતાની ફીટનેસ માટે બેદરકાર રહે છે. કારણ સ્પષ્ટ છે. એકાદ મેચમાં પણ સારું પ્રદર્શન તેમને લાંબા વખત સુધી ટીમમાં રાખશે. અને કદાચ ન રમવા મળે તોય શું? પૈસા તો મળે જ છે. બોર્ડ આપે છે તે ઉપરાંત જાહેરાતોના contracts પણ છે. થાકનું કારણ આગળ કરીને દેશની ટીમમાંથી રમવાનો ઇનકાર કરનાર ક્રિકેટરો આઇપીએલ રમવા તૈયાર થઇ જશે. દેશ જાય ભાડમાં – સબસે બડા રૂપૈયા. દેશની સમગ્ર પ્રજા ભલેને લાખ આશાઓ રાખીને બેસે!

હવે વાત રાજકારણીઓ ની. દેશને “ઉજ્જવળ ભવિષ્ય” તરફ દોરી જનાર નેતાઓ પોતે કેવા અંધકારમાં સબડે છે તેનો દાખલો એ આ શત્રુનાશની વિધિ. પાછા વિરોધીઓ જ નહિ, મુખ્યમંત્રી પોતે પણ વિરોધીઓની “મેલી વિદ્યા”થી બચવા માટે મંત્ર તંત્રનો આશરો લે છે. આ લોકો દેશનું શું કરશે? વિરોધ પક્ષની વિચારધારા નો વિરોધ વ્યાજબી, પણ તેમના “નાશ”નાં પ્રયત્ન? અને એને માટે વિધિવિધાન અને અંધશ્રદ્ધાનો સહારો? “વિરોધી” અને “શત્રુ” એ બે જુદા શબ્દો છે એ પણ આ લોકોને યાદ નથી રહેતું. ઉપરાંત આવા મંત્ર તંત્ર કરીને દેશની પ્રજા ને તેઓ શું સંદેશ આપે છે? ચાલો ૧૭મી સદીમાં? હમણાં શરદ યાદવે જાહેર કર્યું કે રાહુલ ગાંધીને ગંગા નદીમાં ફેકી દેવા જોઈએ. ને સોનિયાજી નરેન્દ્ર મોદીને “મોત ના સોદાગર”  કહી ચુક્યા છે. ગધેડા ના બલિ ચડાવનાર આ નેતાઓ પોતે જ ગધેડા જેવા ભાસે છે. અફઝલ ગુરુ અને અજમલ કસાબની શાહી આવભગત કરનારાઓ સોહરાબ નાં “એનકાઉન્ટર” માટે આંસુ વહાવે છે. કોમનવેલ્થ ગેઈમ્સમાં કરોડો રૂપિયા ખાઈ જનારા આ ચારાખોરો દેશની આબરુને જોખમમાં મુકતા નથી અચકાતા. પોતાનું ભલું કરવું એ માનવ સહજ વૃત્તિ છે પણ એ માટે દેશ અને દેશના લોકોના હિતને પણ વેચી નાખવા તૈયાર થઇ જવું એ અધમતા છે. અરે દેશના સંરક્ષણ ની વાત હોય કે શહીદો ના કોફીનોની ખરીદી કે ઇવન શહીદોની વિધવાઓ માટે ના રહેણાંક હોય, આ લોકો પોતાના રોટલા શેક્યા વિના નહિ રહે.
રાજકારણીઓ ના વરવા સ્વરૂપનો એક વધુ દાખલો તે સીપીએમના કાર્યકરોને ખૂનના ગુના સબબ થયેલી સજા છે. ને રાજકારણીઓના લોહીથી રંગાયેલા હાથનું એ માત્ર એક જ ઉદાહરણ નથી. ને વધુ આઘાતની વાત તો એ કે આ કાર્યકરોના નેતાઓ લાજવા ને બદલે ગાજતા હતા. એકબીજા ને પ્રોત્સાહિત કરતા હતા ને કહેતા હતા કે આપણે જલ્દી જ છૂટી જઈશું.
જૂની પેઢીના લોકોનો બળાપો કે “અમારા વખતમાં સાવ આવું નહોતું” એ ક્યારેક વ્યાજબી લાગે છે. આપણા ભૂતકાળ કરતા વર્તમાન બગડે છે ને ભવિષ્ય નું તો શું થશે શી ખબર? યાદ આવે છે બે દાખલા:

  • આપણા ભૂતપૂર્વ ક્રિકેટર વિનૂ માંકડને એક ટેસ્ટ રમવાના ૨૫૦ રૂ. મળતા હતા. એક વાર કોઈએ પૂછ્યું કે આ વળતર પુરતું છે? જવાબમાં તેમણે શોકેસમાંથી ટેસ્ટ કેપ કાઢી બતાવી ને કહ્યું કે પૈસા કરતા વધુ મહત્વનું દેશ માટે રમવાનું ગૌરવ મળે છે તે છે.
  • ૧૯૭૧ના યુદ્ધમાં જીત્યા પછી ભાજપના (એ વખતે જનસંઘના) અટલ બિહારી બાજપાયીએ ભરી સંસદમાં કબુલ્યું હતું કે, “ઇસ દેશ કી એક હી નેતા હૈ, વો હૈ ઇન્દિરા ગાંધી.”

આવા લોકોની સાથે આજના ક્રિકેટરો ને નેતાઓને સરખાવો તો જરા.

જો કે વાંક ક્રિકેટરો નો ને નેતાઓ નો નથી. આપણો જ છે- આપણી ટુંકી યાદશક્તિ અને બુઠ્ઠી અક્કલનો છે. કોમનવેલ્થ ગેઈમ્સ માં સારું પરિણામ મળ્યું એટલે હરખાઈને કૌભાંડો ભૂલી જવાના. એક મેચ જીત્યા એટલે જૂની બધી હારને ભૂલી જનારી અને  ક્રિકેટરો ને પૂજનારી પ્રજામાંથી કેટલા જણાં આપણા cwg ગોલ્ડ જીતનારાઓને ઓળખે છે? અરે ગોલ્ડ જીત્યા પછી તેમણે સ્વખર્ચે રીક્ષા કરીને ઘરે જવું પડે પણ પ્રજા ના પેટનું પાણી ન હાલે. કેટલાકને આજે બોફોર્સ કૌભાંડ કે ચારાકાંડ ઇવન યાદ પણ આવે છે? કલમાડીના કકળાટમાં રાજાની રામાયણ ભુલાશે ને પછી કલમાડી ને ભૂલવા બીજું કૈક બહાનું હાજર થઇ જશે. કેટલાય ધારાસભ્યો ને સંસદસભ્યો ગુનાહિત ભૂતકાળ ધરાવે છે. એમાંના કેટલાક ઉપર તો ખૂન અને બળાત્કાર જેવા ગંભીર આરોપો છે. છતાં એ લોકો આ જ પ્રજાના મતો વડે ચુંટાયા કરે છે. ધન્ય છે દેશની પ્રજાને!

આપણે કોઈ દિ’ જાગશું ખરા?